ભરૂચ:
ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલ આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શોપિંગ સેન્ટરમાં આવેલી ‘સાઈ અગરબત્તી’ની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતાં જ શોપિંગ સેન્ટરમાં હાજર ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરી સ્થાનિક લોકોએ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લેવાઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
Advertisement
જોકે ભરૂચ નગરપાલિકા તથા જીએફસીના ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં વિલંબ થતા સ્થાનિક લોકોએ જ આગ નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જો શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હોત, તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હતી. આ ઘટનાએ ફાયર સેફટી વ્યવસ્થાની મહત્વતા ફરી એકવાર ઉજાગર કરી છે.
