કેન્દ્રિય ભૂગર્ભ જળ બોર્ડ (CGWB), વેસ્ટ સેન્ટ્રલ રીજન, અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા NAQUIM અભ્યાસ અને રિચાર્જ પ્લાન અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના જળ સ્ત્રોતોના સંરક્ષણ અને સુવ્યવસ્થિત ઉપયોગ માટે યોજાયેલ આ વર્કશોપમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાયન્ટિસ્ટ-સી કમર ઉજ્જમ ખાને ભરૂચ જિલ્લામાં અમલમાં મુકાયેલા NAQUIM 2.0 અભ્યાસ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. રજૂઆતમાં તાલુકાવાર ભૂગર્ભ જળની સ્થિતિ, મુખ્ય તારણો, ભૂગર્ભ જળ વ્યવસ્થાપન યોજના (GWMP) તથા રિચાર્જ પ્લાન (RP) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વર્કશોપ દરમિયાન JSJB પોર્ટલ તેમજ MGNREGA હેઠળ થયેલા સુધારાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત CGWBની વેબસાઇટ અને INGRES પોર્ટલ મારફતે જળસંબંધિત ડેટા કેવી રીતે મેળવવો તેની પ્રાયોગિક માહિતી પણ અધિકારીઓને આપવામાં આવી હતી.
આ બેઠકમાં ૨૦૨૫ સુધીના જળ ડેટાના મૂલ્યાંકન સાથે ભવિષ્યના જળ સંચય માટે મહત્વપૂર્ણ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ સંબંધિત વિભાગોને જળ શક્તિ અભિયાન (JSA), જલ શક્તિ જનભાગીદારી (JSJB) અને MGNREGA સહિતની યોજનાઓમાં NAQUIM અભ્યાસના તારણોનો અસરકારક ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ટકાઉ ભૂગર્ભ જળ સંચાલન માટે ભલામણ કરાયેલા રિચાર્જ પ્રસ્તાવોનું અસરકારક અમલીકરણ થાય તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્કશોપની વહીવટી કામગીરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ભરૂચ દ્વારા સંભાળવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરી રહી હતી.
ભરૂચ જિલ્લાના જળ સંસાધનોના સંરક્ષણ અને યોગ્ય સંચાલન માટે આ વર્કશોપ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
