ભરૂચ :
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ યોજાનાર આ ખરીદી અભિયાનનો લાભ જિલ્લાના લાયક ખેડૂતો લઈ શકશે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ બાજરીનો પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૬૨૫, જુવાર (માલદંડી)નો રૂ. ૩,૧૮૯, જુવાર (હાઈબ્રીડ)નો રૂ. ૩,૨૨૫ તથા મકાઈનો રૂ. ૨,૧૨૫ નક્કી કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, ઇચ્છુક ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના નોંધાયેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.
આ સાથે અનાજ ખરીદીની કામગીરી તા. ૧ મે થી ૧૫ જુલાઈ ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે.
નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડ, અદ્યતન ૭/૧૨ અને ૮-અના ઉતારા તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવાના રહેશે. નોંધણી પ્રક્રિયા આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
વધુ માહિતી અથવા સહાય માટે ખેડૂતો ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.
નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨), ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, ભરૂચ દ્વારા જિલ્લાના ખેડૂતોને સમયમર્યાદામાં નોંધણી કરાવી સરકારની આ પારદર્શક ખરીદી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
