ભરૂચ:
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં બુધવારે બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલીનું નેતૃત્વ ચૈતર વસાવાએ કર્યું હતું.
રેલી પહેલાં ઝાડેશ્વર સ્થિત અંબાજી માતા મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.
રેલી દરમિયાન ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને આપના પક્ષમાં મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આશરે ૬૫૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ઉમેદવારો પર દબાણ અને ધાકધમકીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આપના ઉમેદવારો મજબૂત રીતે ચૂંટણી લડી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષે પોતાના શાસન દરમિયાન નોંધપાત્ર વિકાસ કર્યો હોત તો તેમને અન્ય પક્ષોને દબાણમાં લેવા પડત નહીં અને તેઓ પોતાના કાર્યના આધારે જ જનસમર્થન મેળવી શકતા.
