ભરૂચ: સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ એસટી ડેપો સ્થિત સિટી સેન્ટર કમ્પાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ પ્રભાવી શેરી નાટક રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવવા અને અચૂક મતદાન કરવા ભાવભરી અપીલ કરી હતી.
આ પ્રસંગે ‘સ્વીપ’ (SVEEP) ના અધિકારી ડૉ. દિવ્યેશભાઈ પરમાર, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી તેમજ ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલભાઈ છત્રીવાલા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ મતાધિકારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શેરી નાટકના હૃદયસ્પર્શી સંવાદો દ્વારા કલાકારોએ સમજાવ્યું હતું કે સશક્ત લોકશાહી માટે દરેક મત કિંમતી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો અને અધિકારીઓએ સ્વયં મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ અભિયાનમાં સિટી સેન્ટરના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
