વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સાધુ-સંતો અને ગૌભક્તોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
દેશવ્યાપી ચાલી રહેલા “ગૌ સન્માન અભિયાન” અંતર્ગત પ્રધાન સરક્ષક વેદલ ક્ષણા ગૌમાતા તથા અધ્યક્ષ નંદી બાબાની પ્રેરણાથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મામલતદારને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ-૪૮ હેઠળ ગાયનું સંરક્ષણ રાજ્યનો વિષય છે. કેટલાક રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ મુદ્દે ઉદાસીનતા જોવા મળી રહી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી કાયદાકીય સુધારા કરીને સમગ્ર દેશમાં “કેન્દ્રીય ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ” અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગાયોના કતલખાનાના લાયસન્સ રદ કરવા, ગૌ સંરક્ષણ માટે અલગ ફોર્સની રચના કરવા તેમજ ગૌહત્યા કરનારાઓ સામે આજીવન કેદ અને મિલ્કત જપ્તી જેવી કડક સજાની જોગવાઈ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
ઝંખવાવના ગૌભક્ત બાબુભાઈ સેનના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મેશ વસાવા, જગદીશ પટેલ, રમેશભાઈ સેન, રવિ પટેલ, બચુભાઈ મહારાજ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.
