ભરૂચ : ભરૂચ જિલ્લાના નબીપુર અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ નં. ૧૯૧ પર રોડ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ માર્ગ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી અને વાહનવ્યવહાર સુચારૂ રહે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામા મુજબ, રોડ ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લેવલ ક્રોસિંગ નં. ૧૯૧ પરથી કોઈપણ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ
વરેડીયા તરફથી નેશનલ હાઈવે નં. ૪૮ મારફતે આવતા ભારે વાહનો નબીપુર ફાટક તથા પાલેજ ફાટક માર્ગે ટંકારીયા, ઘોડી અને કહાન તરફ અવર-જવર કરી શકશે.
હળવા વાહનો માટે રૂટ
મોટરસાઈકલ અને ફોર-વ્હીલર જેવા હળવા વાહનો માટે પાલેજ ક્રોસિંગ ગેટ નં. ૧૯૬ (RUB), ૧૯૭ અને ૧૯૮ પરથી અવરજવર માટે માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અન્ય વિકલ્પ માર્ગ
વાહનચાલકો માટે કરગટ ક્રોસિંગ ગેટ નં. ૧૮૯ (RUB) તેમજ નબીપુર ફાટક નં. ૧૮૭ મારફતે કહાન, અડોલ, ટંકારીયા અને ઘોડી તરફ જવા-આવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ (૧)(બી) હેઠળ મળેલી સત્તાના આધારે આ હુકમ અમલમાં મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું હતું.
