ભરૂચ: ભરૂચ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રવેશ પ્રક્રિયાનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
એસ.એસ.સી. પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૦૮ મેથી ૧૫ મે, ૨૦૨૬ દરમિયાન સંબંધિત શાળાઓમાં પોતાની શાળાના ૨૫ તેમજ અન્ય શાળાના ૦૬ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફોર્મનું વિતરણ અને સ્વીકાર કરવામાં આવશે.
અનામત વર્ગના SC, ST, SEBC અને EWS વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ ખાતે તા. ૦૮-૦૫-૨૦૨૬ થી ૧૬-૦૫-૨૦૨૬ દરમિયાન સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ વિતરણ અને સ્વીકારની પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરતી વખતે ધોરણ-૧૦માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાં મેળવેલા ગુણોને આધારે પસંદગી કરવામાં આવશે. શાળા કક્ષાએ પ્રથમ મેરીટ યાદી તા. ૧૯-૦૫-૨૦૨૬ના રોજ જાહેર થશે, જ્યારે પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ તા. ૨૨-૦૫-૨૦૨૬ સુધીમાં ફી ભરવાની રહેશે.
જિલ્લામાં કુલ ૭૫ બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે ૦૫, અનુસૂચિત જનજાતિ માટે ૧૧, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૦ તથા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે ૦૮ બેઠકો અનામત રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ સાથે ધોરણ-૧૦ની માર્કશીટની નકલ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC), ટ્રાયલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. ખાસ કરીને SEBC અને EWS વર્ગના પ્રમાણપત્રો અરજીના દિવસે માન્ય હોવા ફરજિયાત છે.
જિલ્લાભરમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૦૮ જૂન, ૨૦૨૬થી વિજ્ઞાન પ્રવાહના વર્ગોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
