દહેજ સેઝ ૧ ચોકડીથી નાયરા પેટ્રોલ પંપ જવાના રોડ પરની ઘટના
ભરૂચ.
દહેજના રાણા ખડકી વિસ્તારમાં રહેતાં જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ તેમના મિત્રની કાર લઈને ઘરેથી જોલવા જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં સાડા અગિયાર વાગ્યાના અરસામાં દહેજ સેઝ-૧ ચોકડીથી નાયરા પેટ્રોલ પંપ જવાના રોડ પર દહેજથી ભરૂચ તરફ આવવાના રોડ પર અજાણ્યા શખ્સનો અકસ્માત થયાંનું માલુમ પડયું હતું. તેમણે સ્થળ પર દોડી જઈ જોતાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી જતાં તેનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ મોત નીપજયું હોવાનું માલુમ પડયું હતું. અરસામાં ૧૦૮ની ટીમે સ્થળ પર આવી તપાસ કરતાં તેમણે તેનું મોત થયાનું જણાવ્યું હતું. અરસામાં એસસીઆઈએસએસ સિક્યુરિટી સર્વિસના નાગેન્દ્રસિંષ પણ દોડી આવતાં તેમણે તપાસ કરતાં મૃતકનું નામ નંદકિશોર કોલ્ડા રામ (હાલ રહે. વડદલા રોયલ રેસિડન્સી, મુળ રહે. છોટી બેઠી, જી. નાગોર) હોવાનું તેમજ તે ડાઈ થી કરકરિયા લી. કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બનાવતો હતો. બનાવને પગલે જયદેવસિંહ ગોહિલે દહેજ પોલીસ મથકે અજાણ્યાં વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદનોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
