ભરૂચ : રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૫ અને ૨૬ મે, ૨૦૨૬ના રોજ ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યપાલના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.
રાજ્યપાલના કાર્યક્રમોને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે ની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી જાડેજાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
મળતી માહિતી મુજબ તા. ૨૫ મેના રોજ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામ ખાતે રાજ્યપાલ ગ્રામજનોને સંબોધિત કરશે, જ્યારે તા. ૨૬ મેના રોજ એ જ સ્થળે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં “ગ્રામ કલ્યાણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરે રાજ્યપાલના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પીવાના પાણીની સુવિધા, રસ્તાઓની મરામત, સ્વચ્છતા, અવિરત વીજ પુરવઠો, મેડિકલ ટીમ, મંડપ અને ડાયઝ વ્યવસ્થા સહિત તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્થળની સુરક્ષા વ્યવસ્થા, નાગરિકોની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ ચર્ચા કરવામાં આવી હતી.
