ભરૂચ.
દહેજ સ્થિત યોકોહામા એટીસી ટાયર લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા કંપની સંચાલન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘ સાથે જોડાયેલા કામદારોએ મીડિયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કંપની સંચાલકો યુનિયન પ્રવૃત્તિ તોડી પાડવા માટે કામદારોને હેરાન-પરેશાન કરી રહ્યા છે.
કામદારોના જણાવ્યા અનુસાર શાંતિપૂર્ણ રીતે કામ કરતા કર્મચારીઓને ખોટી રીતે શો-કોઝ નોટિસ આપવામાં આવી રહી છે તેમજ દબાણ ઉભું કરી યુનિયન પ્રવૃત્તિ બંધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વધુમાં કામદારોએ આક્ષેપ કર્યો હતો કે ગત તા. 23/05/2026ના રોજ સંસ્થાની શિફ્ટ પૂર્ણ થયા બાદ માંડવા તરફ કામદારોને મુકવા જતી બસને માંડવા ઓવરબ્રિજ પાસે રોકી પ્રિન્સ રાય અને તેના બે-ત્રણ સાગરીતોએ દાદાગીરી કરી હતી. બસમાં બેઠેલા કામદારો સાથે ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું કામદારોએ જણાવ્યું હતું.
કામદારોના જણાવ્યા મુજબ પ્રિન્સ રાય અગાઉ પણ પોલીસ ચોપડે ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હોવા છતાં કંપની દ્વારા તેને નોકરીમાં રાખવામાં આવ્યો છે, જેના કારણે કામદારોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. કંપની સંચાલકો જાણતા હોવા છતાં આવા વ્યક્તિઓને કામદારોમાં ડર પેદા કરવા માટે ઉપયોગમાં લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કામદાર સંગઠને મીડિયા મારફતે અપીલ કરતાં જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા આવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ઝઘડિયા પોલીસ દ્વારા પણ પ્રિન્સ રાય અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે.
