ભરૂચ.
અંક્લેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપીયા ગામે સોશિયલ મીડિયા સ્ટોરીને લઇ ઊભી થયેલી અદાવત મારામારી સુધી પહોંચતાં અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર ગામમાં રહેતો નકુલ હર્ષદ વસાવા પોતાના મિત્રો સમીર વિજય વસાવા, વિનિત મનસુખ વસાવા તેમજ રોશન કાલીદાસ વસાવા સાથે રાત્રિના સમયે ગામમાં આવેલી અનિલ વસાવાની ઠંડા પીણાની દુકાને સોડા પીવા માટે ગયો હતો. ચારેય મિત્રો દુકાન નજીક ઉભા રહી સોડા પી રહ્યા હતા ત્યારે ગામનો અલ્કેશ મુકેશ વસાવા તેમને જોઈ ત્યાંથી નીકળી ગયો હતો.
થોડીવાર બાદ કલ્પેશ મુકેશ વસાવા હાથમાં લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને કોઈ પણ પ્રકારની બોલાચાલી કર્યા વિના સમીર પર હુમલો કરી દીધો હતો. દરમિયાનમાં અલ્પેશ મુકેશ વસાવા, કૃપાલ બાલુ વસાવા અને અજય વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સમીરને માર મારવાનું શરૂ કર્યું હતું.
મિત્રને છોડાવવા વચ્ચે પડેલા નકુલ અને અન્ય યુવકોને પણ આરોપીઓએ લાકડીઓ વડે ફટકારી ઇજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઝઘડો શાંત પાડ્યો હતો.
બાદમાં ઝઘડાનું કારણ બહાર આવ્યું હતું કે, ત્રણેક દિવસ અગાઉ સમીર વસાવાએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી અપલોડ કરી હતી. જેમાં કલ્પેશે કોમેન્ટ કરતાં સમીરે મેસેજમાં ઝઘડો કરવો હોય તો આવી જવાની ટિપ્પણી કરી હતી. આ બાબતની અદાવત રાખી આરોપીઓએ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
