જાહેરનામામાં જણાવાયું છે કે વધુ અવાજને કારણે નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ અને સામાન્ય જનજીવનમાં અડચણ ઊભી થાય છે. વધુમાં અનિયંત્રિત અવાજથી સુલેહભંગ તથા સાંપ્રદાયિક તણાવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ ડી.જે., લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બનાવનાર, વેચનાર, ભાડે આપનાર અને ઉપયોગ કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ-2000નું કડક પાલન કરવાનું રહેશે.
ધાર્મિક સ્થળોએ સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વગર પરવાનગીએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે, પરંતુ અવાજ સંકુલની બહાર ન જવો જોઈએ. જ્યારે લગ્ન વરઘોડા અથવા અન્ય કાર્યક્રમોમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સક્ષમ અધિકારીની પરવાનગી બાદ જ ડી.જે. અથવા લાઉડસ્પીકર વગાડી શકાશે.
ખાનગી મકાન, કોમ્યુનિટી હોલ અથવા ઓડિટોરીયમ જેવા બંધ સ્થળોએ અંદર માઇક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે, પરંતુ તેનો અવાજ બહાર ન જવો જોઈએ તે ફરજિયાત રહેશે.
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ભરૂચ જિલ્લામાં આ જાહેરનામું અમલમાં રહેશે.
