અમદાવાદ, તા. 04 જૂન 2026
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોળાએ ગુજરાતના મુખ્યમંત્રી, અતિરિક્ત મુખ્ય સચિવ (સહકાર) તથા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને સત્તાવાર રજૂઆત કરી રાજ્યની તમામ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (District Central Co-operative Banks) માં તાત્કાલિક કસ્ટોડિયન નીમવા તથા સમયબદ્ધ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની માંગણી કરી છે.
માંગરોળાએ જણાવ્યું હતું કે રાજ્યની અનેક જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં વ્યવસ્થાપક સમિતિનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી નવી ચૂંટણીઓ યોજવામાં આવી નથી. આવી સ્થિતિમાં મુદત પૂર્ણ થયેલી સમિતિઓ દ્વારા બેંકોનું સંચાલન ચાલુ રહેવું સહકારી કાયદાની ભાવના તેમજ લોકશાહી વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
તેમણે જણાવ્યું કે સહકારી સંસ્થાઓમાં સમયસર ચૂંટણી યોજવી એ માત્ર કાયદાકીય ફરજ જ નહીં પરંતુ સભાસદોના લોકશાહી અધિકારોનું રક્ષણ પણ છે. જ્યાં કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય ત્યાં રાજ્ય સરકાર અને સહકારી વિભાગે તાત્કાલિક કસ્ટોડિયન અથવા એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી નવી ચૂંટાયેલી વ્યવસ્થાપક સમિતિ રચાય ત્યાં સુધી સંસ્થાનું વહીવટ સુનિશ્ચિત કરવું જોઈએ.
માંગરોળાએ વધુમાં જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને લોકશાહી જાળવવા માટે રાજ્ય સરકારે તમામ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની સ્થિતિની સમીક્ષા કરી તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે. ચૂંટણીઓમાં વિલંબ થવાને કારણે સભાસદો, ખેડૂતો અને થાપણદારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે.
તેમણે રાજ્ય સરકાર સમક્ષ નીચેની માંગણીઓ કરી છે:
* રાજ્યની તમામ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની વર્તમાન સ્થિતિની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.
* ભરૂચ સહિત રાજ્યની જીલ્લા સહકારી બેંકોમાં વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે ત્યાં કસ્ટોડિયન/એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે.
* રાજ્ય સહકારી ચૂંટણી સત્તામંડળ દ્વારા સમયબદ્ધ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે.
* ચૂંટણી યોજવામાં થયેલા વિલંબ અંગે જવાબદારી નક્કી કરવામાં આવે.
* સહકારી ક્ષેત્રમાં લોકશાહી, પારદર્શિતા અને કાયદાનું શાસન સુનિશ્ચિત કરવામાં આવે.
માંગરોળાએ જણાવ્યું કે સહકારી બેંકો ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય થાપણદારોની સંસ્થાઓ છે. આ સંસ્થાઓમાં કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન થાય અને સમયસર ચૂંટણીઓ યોજાય તે રાજ્ય સરકારની બંધારણીય અને કાયદાકીય જવાબદારી છે.
