પારદર્શક વહીવટ ની વાતો કરતા લોકો એ RBI ના ૨૫.૦૫.૨૦૨૬ ના પરીપત્ર ની નોંધ લઈ સમાન્ય સભાને કેમ અંધારામાં રાખી
ભરૂચ.
ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની આજની સામાન્ય સભામાં બેંકના ચેરમેન દ્વારા બેંકની નાણાકીય સ્થિતિ અંગે કરાયેલા નિવેદનો તથ્યવિહોણા અને ભ્રામક હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી શ્રી સંદીપ માંગરોળાએ જણાવ્યું છે.
શ્રી માંગરોળાએ જણાવ્યું કે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આજે જે નફાકારક સ્થિતિમાં હોવાનું દાવો કરવામાં આવે છે તેની પાછળનું વાસ્તવિક કારણ બેંકના વર્તમાન સંચાલનની સિદ્ધિ નહીં પરંતુ યુપીએ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ વૈદનાથન કમિટી પેકેજ છે.
ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સહિત સમગ્ર સહકારી ધિરાણ માળખાને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વૈદનાથન કમિટીની ભલામણો અમલમાં મૂકવામાં આવી હતી. તે અંતર્ગત બેંક અને તેની સાથે સંકળાયેલી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) ના સંચિત નુકસાનની ભરપાઈ માટે વિશેષ નાણાકીય સહાય આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ઉપર રહેલી અંદાજે રૂ. 38 કરોડથી વધુની ખોટ દૂર કરવામાં કેન્દ્ર સરકારના સહાય પેકેજનો મહત્વનો ફાળો રહ્યો હતો. વધુમાં જે PACS મંડળીઓ ભારે નુકસાનમાં હતી તેમની ખોટ પણ વૈદનાથન પેકેજ હેઠળ સમાયોજિત કરવામાં આવી હતી. પરિણામે બેંકની બેલેન્સ શીટ મજબૂત બની અને બેંકને નફાકારક સ્થિતિ તરફ આગળ વધવાનો માર્ગ મળ્યો હતો.
આથી આજે બેંક નફામાં હોવાનો સમગ્ર શ્રેય વર્તમાન સંચાલનને આપવાનો પ્રયાસ કરવો એ ઇતિહાસ અને હકીકતોને છુપાવવાનો પ્રયાસ છે. સામાન્ય સભામાં હાજર પ્રતિનિધિઓને બેંકની વાસ્તવિક નાણાકીય પૃષ્ઠભૂમિથી અજાણ રાખીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.
શ્રી માંગરોળાએ માંગણી કરી છે કે બેંક સંચાલન વૈદનાથન કમિટી અંતર્ગત મળેલી સહાય, કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઈ કરાયેલ નુકસાન તથા ત્યારબાદની વાસ્તવિક નાણાકીય સ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરે જેથી સભાસદો અને સહકારી મંડળીઓ સમક્ષ સાચી માહિતી પહોંચે.
સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને સત્ય આધારિત માહિતી આપવી એ સંચાલનની ફરજ છે. ભ્રામક દાવાઓ દ્વારા સભાસદોને ગેરમાર્ગે દોરવાનો કોઈપણ પ્રયાસ સહકારી ચળવળના હિતમાં નથી.
