વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામની દીકરી ફોરમ કિશોરભાઈ ચૌધરીએ પોતાની અનોખી વારલી કલા દ્વારા રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ મુલાકાત દરમિયાન ફોરમ ચૌધરી દ્વારા તૈયાર કરાયેલ વિશેષ વારલી પેઇન્ટિંગ તેમને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવતાં સમગ્ર વિસ્તાર તેમજ આદિવાસી સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા. ૫ જૂન, ૨૦૨૫ના રોજ સુરત અને દમણ ખાતે આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન વાંકલ ગામની યુવા કલાકાર ફોરમ ચૌધરી માટે યાદગાર ક્ષણ સર્જાઈ હતી, જ્યારે તેમની કળાને દેશના વડાપ્રધાન સુધી પહોંચવાનો ગૌરવ પ્રાપ્ત થયો હતો.
ફોરમ ચૌધરી વર્ષોથી પરંપરાગત આદિવાસી વારલી કલાને જીવંત રાખવા માટે સતત કાર્યરત છે. તેમની પેઇન્ટિંગ્સમાં સરળ આકારો, ગોળાકાર માનવ આકૃતિઓ, પ્રાકૃતિક દૃશ્યો અને લોકજીવનના તત્વો દ્વારા આદિવાસી સંસ્કૃતિને કલાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને ગામડાનું જીવન, કૃષિ, પરંપરાગત નૃત્યો, કુદરત અને સામૂહિક જીવનશૈલીને તેઓ પોતાની કલામાં અનોખી રીતે અભિવ્યક્ત કરે છે.
ફોરમ ચૌધરી દ્વારા પ્રધાનમંત્રીને અર્પણ કરાયેલ ખાસ વારલી પેઇન્ટિંગમાં પણ આદિવાસી જીવન અને ભારતીય સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળી હતી. તેમની આ કૃતિએ માત્ર સ્થાનિક નહીં પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ વારલી કલાની આગવી ઓળખ ઉભી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ફોરમની આ સિદ્ધિથી વાંકલ ગામ સહિત સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગામની દીકરીએ પોતાની કળા દ્વારા સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. યુવા કલાકારો માટે પણ ફોરમ ચૌધરી પ્રેરણારૂપ બની છે.
સ્થાનિક આગેવાનો અને સમાજજનોએ જણાવ્યું હતું કે વારલી કલા માત્ર ચિત્રકળા નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત દસ્તાવેજ છે. ફોરમ ચૌધરી જેવી યુવા કલાકારો આ પરંપરાગત કળાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
ફોરમ ચૌધરીની આ સિદ્ધિને કારણે વારલી કલાને રાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
