અંકલેશ્વર નજીક આવેલા સંજાલી ગામ પાસે ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નાહવા પડેલા બે યુવકો પૈકી એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક યુવક પાણીના પ્રવાહમાં લાપતા બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પાનોલી નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મહારાજાનગર વિસ્તાર નજીક બે યુવકો નહેરમાં નાહવા માટે પડ્યા હતા. દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં બંને યુવકો નહેરના તેજ પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. બંને યુવકો પાનોલીની એક કંપનીમાં કામ કરતા હોવાનું તેમજ કામ પૂર્ણ થયા બાદ નહેરમાં નાહવા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાસ્થળ નજીક હાજર રહેલા ઓટો રિક્ષા ચાલક ઝુબેર શિદાતે સમગ્ર ઘટનાને નજરે જોઈ તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર દોડી આવી હતી અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ એક યુવકને સુરક્ષિત રીતે નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જોકે અન્ય એક યુવક પાણીમાં લાપતા બન્યો હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ સઘન બનાવવામાં આવી છે. નહેરના પ્રવાહ અને ઊંડાણને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા નહેર કિનારે ઉમટી પડ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લાપતા યુવકની શોધ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
