ભરૂચ.
ભરૂચમાં બુધવારે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં મૃતક પરીણિતાના પિતાએ આખરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે, તેમની પુત્રીના ચારિત્ર્ય પર સાસરિયાઓ ખોટા આક્ષેપ કરતાં હતાં. તેમજ તેઓ છેલ્લાં કેટલાંય સમયથી તેમની પુત્રી અને પિયરના સભ્યોને છુટાછેડા લેવા માટે દબાણ કરતાં હતાં. તેઓએ છુટાછેડા આપવાનો ઈન્કાર કરતાં તેમના વેવાઈએ તેમની પુત્રી અને પત્નીની નિર્મમ હત્યા કરી હતી.
ભરૂચમાં બુધવારે થયેલી બેવડી હત્યાની ઘટનામાં પોલીસે આખરે મૃતક પરીણિતાના પિતા અબ્દુલ હુસેન સૈફુદ્દીન નમકવાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, તેમની પુત્રી અલીફીયાના લગ્ન પંદરેક વર્ષ પહેલાં ડો. યુસુફ જૈનુલ જનોરવાલા સાથે થયાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રીઓ હતી. વર્ષ ૨૦૨૪થી તેમની પુત્રી જમાઈ અને બે સંતાન સાથે કોઠી રોડ પર અલગ રહેવા ગયાં હતાં. બે વર્ષ પહેલાં તેમની પુત્રીએ તેમને જણાવ્યું હતું કે, લગ્નના થોડા સમય બાદથી જ સાસરિયાઓ તેને હેરાન કરતાં હતાં. તે ઘરખર્ચ માંગે તો તેને મારઝૂડ કરતાં હતાં. જેથી પિયર અને સાસરિયાના સભ્યો બેઠક કરતાં આખરે તેઓને અલગ રહેવા મળ્યું હતું. છતાં પણ છેલ્લાં એક વર્ષથી તેમના જમાઈ યુસુફ તેમજ વેવાઈ જૈનુલ અબ્બાસ જનોરવાલા તેમની પુત્રીઅલીફીયાના ચારિત્ર્ય વિષે ખોટી વાતો કરી છુટાછેડાં લેવા દબાણ કરતાં હતાં.
જોકે, તેમણે તેમની પુત્રી અને બે નવાસીઓના ભાવિને ધ્યાનમાં રાખી છુટાછેડા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેઓ વારંવાર છુટાછેડા માંગતાં હતાં. જોકે, અબ્દુલ હુસેન, તેમની પત્ની સહેનાજ તેમજ પુત્રી અલીફીયાએ કોઈ પણ હિસાબે છુટાછેડા નહીં આપવાનું કહેતાં તકરાર થયાં કરતી હતી. દરમિયાનમાં તેમના વેવાઈએ કોઠીરોડ પર તેમના જમાઈના ઘરે તેમની પુત્ર અલિફીયાને તિક્ષ્ણ હથિયારથી ઘા કરી મોત નિપજાવ્યું હતું. જે બાદ પારસીવાડમાં તેમના ઘરે આવી તેમની પત્ની સહેનાજની પણ હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે ૪ છરીઓ તેમજ એક કુહાડી તેમજ મોજા પડેલાં જણાયાં હતાં. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
