ભરૂચ :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા દિવસે જિલ્લાના વિવિધ મહત્વાકાંક્ષી વિકાસ પ્રકલ્પોની મુલાકાત લઈ વિકાસની ગાથા પ્રજાજનો સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી.
જિલ્લાના સર્વગ્રાહી વિકાસ, આધુનિક સુશાસન, ઔદ્યોગિક પ્રગતિ અને જનકલ્યાણકારી યોજનાઓના વ્યાપક પ્રભાવને રજૂ કરવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓ, અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાની શરૂઆત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેલા આધુનિક જનસેવા કેન્દ્રથી કરવામાં આવી હતી. અહીં મામલતદારએ ડિજિટલ ગવર્નન્સના માધ્યમથી સામાન્ય નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જનસેવા કેન્દ્રની કામગીરીને સુશાસન અને પારદર્શિતાના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ યાત્રીઓએ ડીવાયએસપી કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નેત્રમ’ની મુલાકાત લીધી હતી. અહીં ભરૂચ શહેરની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ અને ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી આધુનિક ટેક્નોલોજી આધારિત સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
પ્રગતિ પથ યાત્રાનો આગામી મહત્વપૂર્ણ પડાવ ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ ખાતે રહ્યો હતો. અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટની તબક્કાવાર કામગીરી, માળખાકીય સુવિધાઓ તથા ભરૂચ જિલ્લાના કૃષિ, પીવાના પાણી અને ઔદ્યોગિક વિકાસને મળનારા લાભો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દહેજ સ્થિત આધુનિક ડીસેલિનેશન પ્લાન્ટની મુલાકાત દરમિયાન દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને ઉપયોગી બનાવવાની પ્રક્રિયા અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે તેની ઉપયોગિતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રકલ્પને પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યો હતો.
યાત્રાના અંતિમ તબક્કામાં વાગરા તાલુકાના અખોડ ગામે આવેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની મુલાકાત લેવામાં આવી હતી. અહીં પ્લાસ્ટિક કચરાના વૈજ્ઞાનિક નિકાલ, રિસાયક્લિંગ પ્રક્રિયા અને પર્યાવરણ સંરક્ષણમાં તેની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લાના વિકાસના વિવિધ આયામો, આધુનિક સુવિધાઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યલક્ષી પ્રકલ્પોની માહિતી ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
