ભરૂચ :
ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે કાર્યરત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન, ભરૂચ દ્વારા આગામી રવિવાર તા. 14 જૂન, 2026ના રોજ ‘સ્વરાકાર 2026’ શીર્ષક હેઠળ ભવ્ય શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ સાંજે 5:30 કલાકે સ્ટેશન રોડ સ્થિત પી.ડી. શ્રોફ રોટરી ક્લબ હોલ ખાતે યોજાશે. સંગીતરસિકો માટે કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમના પ્રથમ સત્રમાં દેશના જાણીતા વાંસળીવાદક પંડિત અમર ઓક દ્વારા વાંસળી વાદનની મનમોહક રજૂઆત કરવામાં આવશે. તેમની સાથે તબલા સંગતમાં અજિંક્ય જોશી જોડાશે, જે સંગીતપ્રેમીઓને શાસ્ત્રીય સંગીતની અનોખી અનુભૂતિ કરાવશે.
જ્યારે બીજા સત્રમાં પ્રતિષ્ઠિત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા ગાયત્રી જોશી દ્વારા શાસ્ત્રીય ગાયનની રજૂઆત કરવામાં આવશે. તેમની સાથે અજિંક્ય જોશી તબલા પર તેમજ આકાર સુરતી હાર્મોનિયમ પર સંગત આપશે.
સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા, મધુરતા અને લયબદ્ધતાનો અનોખો સંગમ બનશે. ભરુચ અને આસપાસના વિસ્તારોના સંગીતપ્રેમીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર સાંસ્કૃતિક અવસર સાબિત થશે.
ફાઉન્ડેશન દ્વારા તમામ સંગીતરસિકોને પરિવારજનો અને મિત્રો સાથે ઉપસ્થિત રહી આ શાસ્ત્રીય સંગીત સંધ્યાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
