ભરૂચ :
ભરૂચ તાલુકાના કરમાલીના દશામાં મંદિર ફળિયામાં જમીન પર લાકડાં મૂકવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાને મારમારાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગીતાબેન પત્ની ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ વસાવા (ઉ.વ. 31), જે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ 10 જૂન 2026ના રોજ સાંજના સમયે મજૂરી કામેથી ઘરે પરત ફર્યા બાદ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન સાંજે આશરે 5:30 વાગ્યે પાડોશમાં રહેતી લીલાબેન અનિલભાઈ વસાવાએ ગીતાબેનને તેમની માલિકીની જગ્યામાં લાકડાં મૂકવાના મુદ્દે તકરાર શરૂ કરી હતી.
આક્ષેપ મુજબ, લીલાબેને ગીતાબેન સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. દરમિયાન લીલાબેનના પતિ અનિલભાઈ રવજીભાઈ વસાવા, સાસુ મધુબેન રવજીભાઈ વસાવા અને સસરા રવજીભાઈ વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચારેયે મળીને ગીતાબેનને ગાળો આપી ઢીકા-મુક્કા અને લાતોથી માર માર્યો હોવાનો આરોપ છે.
ફરિયાદ અનુસાર, અનિલભાઈએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી નાનું ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગીતાબેન બૂમાબૂમ કરતા તેમની ફોઈ નગરીબેન ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.
જતાં જતાં અનિલભાઈ અને લીલાબેને ફરીથી તેમની જગ્યામાં લાકડાં મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. ઘટનામાં ગીતાબેનને પેટના ભાગે ઇજા પહોંચતાં તેમના પતિ ભુપેન્દ્રભાઈએ ખાનગી વાહનમાં તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હસ્પિટલમાં ખસેડ્યા હતા.
હાલ મહિલાની સારવાર ચાલુ છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
