અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ ભેગા મળી બે ભાઈઓ પર લાકડી અને લોખંડની પાઈપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહંમદ અનસ અબ્દુલ રઉફ શેખ (ઉ.વ. 27), રહે. ગાંધી માર્કેટ, સારંગપુર, અંકલેશ્વર, જુના લાકડાના વેપાર સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટના દિવસે સવારે તેઓ અંકલેશ્વર GIDC વિસ્તારમાં જુના લાકડા લેવા ટેમ્પો લઈને ગયા હતા. લાકડા ગોડાઉનમાં ખાલી કર્યા બાદ તેઓ પદ્માવતીનગર ખાતે ઓળખીતાને મળવા ગયા હતા.
આ દરમિયાન તેમના ઘરેથી ફોન આવ્યો હતો કે હમીદ મુજીબુર રહેમાન, રહે. બાપુનગર, સારંગપુર, અગાઉ થયેલી બોલાચાલીની રીસ રાખી તેમના ઘરની બહાર ઉભો રહી ઉશ્કેરણીજનક રીતે ગાળો બોલી રહ્યો છે. જેથી મહંમદ અનસ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતા હમીદ ત્યાં હાજર હતો. અનસે તેને ઘરની બહાર આવી ગાળો આપવા બાબતે પૂછતાં હમીદે અગાઉના ઝઘડાનો ઉલ્લેખ કરી ધમકીભર્યા શબ્દોમાં બોલાચાલી કરી હતી. થોડીવાર બાદ હમીદ સાથે નિસાર ઉર્ફે ફોટુ ચૌધરી, હમ્માદ ઇરશાદ ચૌધરી અને હમજા તુફેલ ચૌધરી પણ લાકડી અને લોખંડની પાઈપ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા.
ચારેયે મળીને મહંમદ અનસને ગાળો આપી હુમલો શરૂ કર્યો હતો. આરોપી હમજા તુફેલ ચૌધરીએ લોખંડની પાઈપ વડે હુમલો કરતા અનસે બચાવ માટે હાથ આગળ કરતાં હાથ પર ઈજા પહોંચી હતી તેમજ જમણા પગે પણ પાઈપ વાગી હતી. જ્યારે હમ્માદ ઇરશાદ ચૌધરીએ લાકડી વડે માર માર્યો હતો.
હુમલા દરમિયાન અનસના ભાઈ અકમલ ઇસ્તીયાક શેખ બચાવવા વચ્ચે પડતા હમીદ મુજીબુર રહેમાને લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં લાકડી હોઠ પર વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. અન્ય ભાઈ અરકમ ઇસ્તીયાક શેખ પણ બચાવ માટે વચ્ચે પડતા નિસાર ઉર્ફે ફોટુ ચૌધરીએ લાકડી વડે શરીરે માર મારતા તેમને પણ ઇજા પહોંચી હતી.
હુમલાની બુમાબુમ સાંભળી આસપાસના લોકો અને સગાં-સંબંધીઓ દોડી આવ્યા હતા અને બંને ભાઈઓને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત અકમલના હોઠ પરથી લોહી નીકળતું હોવાથી ખાનગી વાહનમાં પ્રથમ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ગડખોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
