ભરૂચ: ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં દરવાજા પર બેઠેલા યુવાનનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો હતો. મોબાઈલ ખેંચવાનો પ્રયાસ થતાં યુવાન ટ્રેનમાંથી લપસી પ્લેટફોર્મ પર પટકાયો હતો અને ટ્રેનની નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે રેલવે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગોદાદરા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી મુકેશ રામસિંહ ગુર્જરને તેમના પરિવારજનોનો ફોન આવ્યો હતો કે તેમના પિતરાઈ ભાઈ અશોક જયસિંહ ગુર્જરનો પાનોલી રેલવે સ્ટેશન પાસે અકસ્માત થયો છે. માહિતી મળતા તેઓ તાત્કાલિક પાનોલી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાં પોલીસે બતાવેલા મૃતદેહની ઓળખ અશોક જયસિંહ ગુર્જર તરીકે કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અશોક ગુર્જર ભરતપુરથી સવાઈ માધવપુર પશ્ચિમ એક્સપ્રેસ અને ત્યારબાદ સવાઈ માધવપુરથી જયપુર–બાંદ્રા ટ્રેનમાં જનરલ કોચના દરવાજા પાસે બેસીને સુરત તરફ મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર ટ્રેન ધીમી પડી રહી હતી ત્યારે કાળા અને સફેદ ટી-શર્ટ પહેરેલા બે અજાણ્યા શખ્સોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
મોબાઈલ બચાવવાના પ્રયાસમાં અશોક ગુર્જર ટ્રેનમાંથી સંતુલન ગુમાવી પ્લેટફોર્મ પર પટકાયા હતા. ત્યારબાદ ટ્રેનની નીચે આવી જતાં ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પરિવારજનોએ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરી અકસ્માતજન્ય મોત નિપજાવનાર બે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રેલવે પોલીસે મુસાફરોને ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને મુસાફરી ન કરવા તેમજ કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે.
