અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીક લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો અને સ્થાનિકો તેમજ વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા સર્કલ નજીક આડેધડ વાહન પાર્કિંગ તેમજ ગેરકાયદેસર લારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા આ પગલું ભરવામાં આવ્યું હતું. માર્કેટની બાજુમાં સંજયનગર જતાં મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે શાકભાજી વેચતા લારીવાળાઓને હટાવી JCB મશીનની મદદથી દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી જીજ્ઞેશ અંદાડિયા અને ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ છૂટક શાકભાજી વિક્રેતાઓની રોજીરોટી પર અસર ન પડે તે માટે માર્કેટની બાજુમાં વૈકલ્પિક અને વ્યવસ્થિત જગ્યા ફાળવી હતી.
જોકે, મહિલા શાકભાજી વિક્રેતાઓએ આ ફાળવણીનો વિરોધ કર્યો હતો અને માર્કેટની અંદર જ બેસવા દેવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. દબાણ હટાવવાની કામગીરી આગળ વધતા મોટી સંખ્યામાં મહિલાઓ અને વેપારીઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.
આ દરમિયાન મામલો વધુ ગરમાયો જ્યારે આમ આદમી પાર્ટીના અગ્રણી નીતિન વસાવા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પાલિકા કચેરી પરિસરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
સ્થિતિ વધુ ઉગ્ર બનતા હાજર લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે બાદમાં અન્ય આગેવાનો અને અધિકારીઓએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી.
