વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં આવેલા પૂરના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત રોગચાળાને અટકાવવા તેમજ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વાંકલ દ્વારા સઘન આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સમીર ચૌધરી અને મેડિકલ ઓફિસર ડૉ. હરેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે પહોંચી આરોગ્ય સર્વે હાથ ધર્યો હતો. ટીમોએ કુલ 47 ઘરોમાં રહેતા 205 જેટલા પૂર અસરગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત લઈ તેમની આરોગ્ય સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન પાણીજન્ય અને ચેપી રોગો ફેલાતા અટકાવવા માટે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પીવાનું પાણી શુદ્ધ રાખી શકાય તે માટે ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરી તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આયુષ્માન આરોગ્યમંદિરની ટીમોએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓના ઘરે જઈ નિયમિત આરોગ્ય ચકાસણી કરી હતી. જરૂરિયાત મુજબ દવાઓ આપી અને માતા તથા ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય અંગે જરૂરી સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ આરોગ્ય ટીમો સતત ફિલ્ડમાં કાર્યરત રહેશે. કોઈપણ વ્યક્તિમાં તાવ, ઝાડા, ઊલટી અથવા અન્ય ચેપી રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
