ભરૂચ: ભરૂચના ભોલાવ ગામે આવેલી નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાં તસ્કરે બંધ મકાનને નિશાન બનાવી સોનાની ચાર બંગડી અને રોકડ મળી કુલ રૂ.5.14 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પરિવાર માત્ર અડધા કલાક માટે મંદિર દર્શને ગયો હતો તે દરમિયાન તસ્કરે ઘરમાં ઘૂસી હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે.
સોસાયટીમાં રહેતાં નીરૂબેન કિશોરભાઈ સોલંકી તેમના પુત્ર શૈલેષ અને પુત્રવધૂ સ્નેહલ સાથે રહે છે. શૈલેષ ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હોવાથી સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન નીરૂબેન અને તેમની પુત્રવધૂ ઘરકામમાં વ્યસ્ત હતાં. પુત્રવધૂ ઉપરના માળે કપડાં ધોવા ગઈ હતી, જ્યારે નીરૂબેન નીચેના રૂમમાં કામ કરી રહ્યાં હતાં.
કામ પૂર્ણ થયા બાદ નીરૂબેને ઘરનો દરવાજો આડો કરી નજીકના જય અંબે સ્કૂલ પાસે આવેલા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા. આશરે અડધા કલાક બાદ ઘરે પરત ફરતાં મુખ્ય દરવાજો ખુલ્લો મળી આવ્યો હતો. ઘરમાં પંખા-લાઈટ ચાલુ હતાં અને રૂમમાં મૂકેલા કબાટની તિજોરી પણ ખુલ્લી હતી.
તપાસ કરતાં તિજોરીમાંથી સોનાની ચાર બંગડી અને રૂ.4 હજાર રોકડા મળી કુલ રૂ.5.14 લાખથી વધુની મત્તા ગાયબ હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
