ભરૂચ :
ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા બુલેટ ટ્રેન અને ફ્રેઇટ કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો બંધ થઈ જતાં ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ રહે છે. અનેક વિસ્તારોમાં ખેતરો તળાવ જેવા બની જતાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જમીન પર મોટા પાયે બાંધકામ થયું છે. તેના કારણે અગાઉ વરસાદી પાણી જે કુદરતી માર્ગો મારફતે બહાર નીકળી જતું હતું તે માર્ગો અવરોધાઈ ગયા છે. પરિણામે વરસાદ પડતાં પાણી ખેતરોમાં જ એકઠું થઈ રહે છે અને લાંબા સમય સુધી તેનો નિકાલ થતો નથી.
ખાસ કરીને ત્રાલસી અને કોઠી સહિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં પાકના મૂળ સડી જવાની સ્થિતિ સર્જાય છે અને તૈયાર પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં
આ સમસ્યા અંગે ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, તેવો ખેડૂતોનો આક્ષેપ છે.
ચાલુ ચોમાસામાં પણ લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં હજારો વિઘા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે. પ્રોજેક્ટના કામથી વિકાસની ગતિ તો વધી રહી છે, પરંતુ તેની આડઅસરનો માર ખેડૂતોના ખેતરો પર પડી રહ્યો હોવાની લાગણી ખેડૂતોમાં વ્યાપી છે.
ખેડૂતોનો સવાલ : વિકાસની કિંમત અમે જ કેમ ચૂકવીએ?
ખેડૂતોની માંગ છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે અને પ્રોજેક્ટના કારણે બંધ થયેલા વરસાદી પાણીના કુદરતી માર્ગોને પુનઃસ્થાપિત કરવા સાથે પાણીના નિકાલ માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરે. દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાય અને રજૂઆતો બાદ પણ માત્ર કામચલાઉ પગલાં લેવાય તો ખેડૂતોના પાક અને જમીનને થતા નુકસાનની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
હવે ખેડૂતોની વારંવારની રજૂઆતોને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે અને પ્રોજેક્ટની કામગીરીના કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તેના પર નજર છે.
