વાગરા :
વાગરા તાલુકાના પહાજ ગામમાં 12 સપ્ટેમ્બરની વરસાદી રાત્રે થયેલી 27 વર્ષીય વસીમ ઇકબાલ દિવાનની હત્યા કેસમાં વાગરા પોલીસે તપાસ તેજ કરી છે. આરોપી આસિફ મહંમદ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીએ હુમલો કેવી રીતે કર્યો, કયા રસ્તેથી આવ્યો અને હત્યા બાદ કયા માર્ગે ફરાર થયો હતો તેની કડીઓ જોડવામાં આવી હતી.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. મૃતકના પરિવારજનોમાં આરોપી સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
હત્યા કેવી રીતે થઈ?
પોલીસ ફરિયાદ મુજબ, ઘટનાની રાત્રે ગામમાં વીજળી બંધ હતી. અંધારાનો લાભ લઈ આરોપીએ વસીમ પર છરા વડે હુમલો કર્યો હતો. હુમલામાં વસીમને હાથ, છાતી સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને પ્રથમ વાગરા, ત્યારબાદ ભરૂચ અને અંતે વડોદરા સારવાર માટે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રેમસંબંધના વહેમમાં હુમલો કર્યાની ફરિયાદ
મૃતકના ભાઈ અનિશ દિવાનની ફરિયાદના આધારે વાગરા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં આરોપીને તેની પત્ની અને વસીમ વચ્ચે પ્રેમસંબંધ હોવાનો વહેમ હતો અને આ શંકાના આધારે હુમલો કર્યાનો ઉલ્લેખ છે. જોકે હત્યાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
વાયરલ વીડિયો પણ તપાસના રડારમાં
ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઘટનાસ્થળેથી છરો અને બુલેટની ચાવી મળી હોવાનું દેખાય છે. પોલીસે વીડિયો અંગે પણ તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતું હથિયાર હત્યામાં વપરાયું હતું કે નહીં તે જાણવા વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
વાગરા પોલીસ મથકના PI એસ.એન. ગોહિલે મૃતકના પરિવારને ખાતરી આપી છે કે તપાસમાં કોઈ પણ સંડોવાયેલા વ્યક્તિને છોડવામાં નહીં આવે. જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે પોલીસ તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે મહત્વનું બન્યું છે.
