ભરૂચ :
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજનાનો બીજો હપ્તો દેશભરના લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવશે. આ અંગે માહિતી આપવા ભરૂચની Employees’ Provident Fund Organisation (EPFO) પ્રાદેશિક કચેરી ખાતે ગુરુવારે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચ EPFOના પ્રાદેશિક કમિશનર પરીપુર્ણ નાથે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ₹2,400 કરોડની બીજી કિસ્તી જાહેર કરવામાં આવશે. કાર્યક્રમમાં આશરે 1,200 લોકો પ્રત્યક્ષ હાજરી આપશે.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશભરના 200 જેટલા સ્થળો પરથી લાઈવ ફીડ મારફતે 70,000થી વધુ લોકો ડિજિટલ માધ્યમથી જોડાશે, જેના કારણે આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ ધરાવે છે.
આ યોજના મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલી છે, જેમાં કર્મચારીઓ અને એમ્પ્લોયર્સ (માલિકો) બંનેને સીધો લાભ મળે છે.
કર્મચારીઓ માટેના લાભ અંગે જણાવતાં તેમણે કહ્યું કે, પ્રથમ વખત રોજગાર મેળવનાર યુવાનોને યોજના હેઠળ ₹15,000ની સહાય આપવામાં આવશે. 12 મહિનાની સેવા પૂર્ણ થયા બાદ આ સહાય બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ 6 મહિના બાદ ₹7,500 અને ત્યારબાદના 6 મહિના પૂર્ણ થતા વધુ ₹7,500 સીધા લાભાર્થીના ખાતામાં જમા કરાશે.
જ્યારે એમ્પ્લોયર્સ માટે નવા રોજગારની તકો ઊભી કરવા બદલ પ્રતિ કર્મચારી મહત્તમ ₹3,000 સુધીની સહાય આપવામાં આવશે. નોન-મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને 2 વર્ષ સુધી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને 4 વર્ષ સુધી આ લાભ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર યોજના માટે ₹99,446 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારના અંદાજ મુજબ આ યોજનાથી દેશમાં અંદાજે 3.5 કરોડ નવી રોજગારીની તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગો સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન વધુ સક્રિય બનાવાશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
