Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના ઉંમરઝર ગામે દીપડાનો આતંક: શેરડીના ખેતરમાં કામ કરતા યુવક પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Share

 

વાંકલ: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના માનવ વસાહતો તરફ વધતા પ્રવેશ વચ્ચે ઉમરપાડા તાલુકાના ઉંમરઝર ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીના ખેતરમાં કામ કરી રહેલા એક યુવક પર દીપડાએ અચાનક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના રહેવાસી અંકિત વસાવા (ઉ.વ. 21) ઉંમરઝર ગામની સીમમાં આવેલા રવજીભાઈ ચાંદીયાભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાં બપોરના સમયે પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન શેરડીના ઘન પાકમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો.

અચાનક થયેલા હુમલામાં અંકિત વસાવા કંઈ સમજી શકે તે પહેલાં જ દીપડાએ પંજા અને દાંત વડે તેમને લોહીલુહાણ કરી દીધા હતા. હુમલો એટલો હિંસક હતો કે યુવકની છાતી, પીઠ, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. દીપડાના તીક્ષ્ણ દાંત અને પંજાના ઘા કારણે ભારે રક્તસ્ત્રાવ થયો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્ત યુવકને પહેલા ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો હતો. પરંતુ ઈજાઓ ગંભીર હોવાને કારણે તબીબોએ વધુ સારવાર માટે તેમને બારડોલીની હોસ્પિટલ ખાતે રીફર કર્યા છે.

ઘટના બાદ ઉંમરઝર અને આસપાસના ગામોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ ખેતરોમાં જતાં ભય અનુભવ્યો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગના RFO જબ્બર ખોખર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાના પગમાર્ક શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિકોની માંગ છે કે હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય. વન વિભાગે ઘટનાસ્થળની આસપાસ પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સમરસ પેનલ વિજયી.

ProudOfGujarat

ગુજરાતમાં 15 મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9 થી 12 ની સ્કૂલો શરૂ થઈ શકે : સ્કૂલો ખોલવા અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!