ભરૂચ :
ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નોના ઝડપી અને સકારાત્મક ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તમામ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં અસરકારક કાર્યવાહી કરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓએ વળતર સંબંધિત પ્રશ્નો, જમીન સંપાદન, કાંસ સફાઈ, ટ્રાફિક સમસ્યાઓ, અવિરત વીજ પુરવઠો, વન અધિકાર, રોડ-રસ્તા, દબાણ દૂર કરવાની કામગીરી, રસ્તાઓના મરામત, સરકારી મિલકતોનો રખરખાવ, સિંચાઈ તેમજ નેશનલ હાઈવે પર પાણીના નિકાલ જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓએ જરૂરી પ્રત્યુત્તર પણ પાઠવ્યા હતા.
કલેક્ટર નવનાથ ગવ્હાણેએ જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પરસ્પર સંકલન અને સહકારથી ભરૂચ જિલ્લાના વિકાસ તથા જનકલ્યાણના કાર્યોને વધુ ગતિ આપી શકાય છે. તેમણે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન રાજ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રિતેશભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
