ભરૂચ:
વાલિયા તાલુકાના વટારિયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. સામે NCDC દ્વારા SARFAESI Act હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહી સમગ્ર દક્ષિણ ગુજરાતના હજારો શેરધારક ખેડૂતો માટે ચિંતાજનક અને દુઃખદ ઘટના છે. આ પરિસ્થિતિ કોઈ એક દિવસમાં સર્જાઈ નથી પરંતુ માર્ચ-2022થી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી કસ્ટોડિયન કમિટીના ગેરવહીવટ, બિનઅનુભવી સંચાલન અને જવાબદાર સરકારી તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ છે.
પૂર્વ પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે સંસ્થાની સ્થાપિત પિલાણ ક્ષમતા હોવા છતાં ઇરાદાપૂર્વક અથવા ગંભીર બેદરકારીના કારણે પૂરતા પ્રમાણમાં શેરડીનું પિલાણ કરવામાં આવ્યું નહીં. ખાંડનું ઉત્પાદન, રિકવરી અને આવકમાં સતત ઘટાડો થયો. ખેડૂતો, સભાસદો અને પૂર્વ સંચાલકો દ્વારા વારંવાર રાજ્ય સરકાર, સહકાર વિભાગ અને ખાંડ નિયામકનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા.
માંગરોલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 હેઠળ રાજ્ય સરકાર, રજિસ્ટ્રાર અને ખાંડ નિયામક ઉપર સંસ્થાના વહીવટની દેખરેખ રાખવાની કાયદેસર જવાબદારી છે. તેમ છતાં સંસ્થાની સ્થિતિ સતત કથળતી રહી અને આજે NCDC દ્વારા SARFAESI Act હેઠળ કાર્યવાહી કરવાની નોબત આવી છે.
તેમણે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે સંસ્થા સરકાર નિયુક્ત કસ્ટોડિયન કમિટીના નિયંત્રણ હેઠળ હતી ત્યારે સંસ્થાને આર્થિક રીતે ખાડામાં ધકેલનાર જવાબદાર કોણ છે? તેમજ 09-04-2026ના રોજ Symbolic Possession લેવામાં આવ્યા બાદ પણ જો સંસ્થાના નામે નવી નાણાકીય જવાબદારીઓ ઊભી કરવામાં આવી હોય તો તેની મંજૂરી કોણે આપી અને કયા કાયદાકીય અધિકાર હેઠળ આવા નિર્ણયો લેવામાં આવ્યા?
સંદીપસિંહ માંગરોલાએ રાજ્ય સરકારને માંગ કરી છે કે:
* નિવૃત્ત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ રચવામાં આવે.
* માર્ચ-2022થી આજદિન સુધીના તમામ નાણાકીય વ્યવહારોનો ફોરેન્સિક ઓડિટ કરવામાં આવે.
* 09-04-2026 બાદ ઊભી થયેલી તમામ નાણાકીય જવાબદારીઓની વિશેષ તપાસ કરવામાં આવે.
* કસ્ટોડિયન કમિટી, જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલી સંસ્થાઓની જવાબદારી નક્કી કરવામાં આવે.
* તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંસ્થાની મિલકતોના વેચાણ કે હરાજી ઉપર રોક લગાવવામાં આવે.
* ખેડૂતો, શેરધારકો અને કર્મચારીઓના હિતોની રક્ષા માટે રાજ્ય સરકાર તાત્કાલિક પુનર્ગઠન યોજના જાહેર કરે.
માંગરોલાએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો આજે સંસ્થાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત. NCDC કાર્યવાહી સુધી પહોંચાડનારા તમામ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને હજારો ખેડૂતોના હિતોની રક્ષા માટે રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે.
