ભરૂચ :
વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ, ઝાડેશ્વર ભરૂચ સેવાકેન્દ્ર ખાતે વિશેષ યોગા-પ્રાણાયામ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. 21 જૂન 2026, રવિવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 150થી વધુ ભાઈ-બહેનો અને નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાતઃકાલીન રાજયોગથી કરવામાં આવી હતી, ત્યારબાદ મુરલી ક્લાસ યોજાયો હતો. ત્યારપછી મુંબઈથી પધારેલાં બી.કે. નીતાબેન અને બી.કે. સ્વાતીબેને ઉપસ્થિતોને યોગ અને પ્રાણાયામના વિવિધ અભ્યાસ કરાવ્યા હતા. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિગતવાર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે નિયમિત યોગ અને પ્રાણાયામ શરીરને તંદુરસ્ત, મનને શાંત અને જીવનને સંતુલિત તથા સકારાત્મક બનાવે છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરીને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. સહભાગીઓએ કાર્યક્રમને અત્યંત લાભદાયી અને પ્રેરણાદાયક ગણાવી આયોજકોની પ્રશંસા કરી હતી.
અંતમાં સેવાકેન્દ્રના રાજયોગિની બી.કે. હેતલદીદીજીએ તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ આંતરિક શાંતિ, માનસિક સશક્તતા અને શ્રેષ્ઠ જીવનશૈલીનો આધાર છે. તેમણે સૌને નિયમિત યોગ અને રાજયોગનો અભ્યાસ કરીને સ્વસ્થ, સુખી અને તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોએ વિશ્વ કલ્યાણ અને માનવજાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકલ્પો કર્યા હતા.
