અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આંબોલી-ઉમરવાડા માર્ગ પરથી શંકાસ્પદ લોખંડના ભંગાર ભરેલા એક આઇસર ટેમ્પોને ઝડપી પાડી બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.16.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે આંબોલી-ઉમરવાડા માર્ગ પરથી એક આઇસર ટેમ્પોમાં મોટી માત્રામાં લોખંડનો શંકાસ્પદ ભંગાર લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સતર્ક બની અને માર્ગ પર વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ટેમ્પો ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટેમ્પોમાંથી મોટી લોખંડની ચેનલો અને અન્ય લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાં ભરેલા ભંગારનું વજન કરતા કુલ 22,774 કિલોગ્રામ જેટલો લોખંડનો જથ્થો મળી આવ્યો હતો. આ ભંગારની બજાર કિંમત અંદાજે રૂ.9.11 લાખ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ ભંગાર ભરેલા આઇસર ટેમ્પોની કિંમત ગણતા કુલ રૂ.16.11 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
આ કેસમાં પોલીસે નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા સબરે હુસેન મોહમ્મદ કાસીમ શેખ અને જૈનુલ આબદ્દીન ઉર્ફે પપ્પુ નિઝામુદ્દીન ખાન ની અટકાયત કરી છે. બંને આરોપીઓ પાસે આટલો મોટો ભંગાર ક્યાંથી આવ્યો અને તેનો માલિક કોણ છે તે અંગે પૂછપરછ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ભંગાર ચોરીનો હોઈ શકે છે અથવા ગેરકાયદેસર રીતે એકત્રિત કરવામાં આવ્યો હોઈ શકે છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને ભંગારનો મૂળ સ્ત્રોત શોધવાની દિશામાં કામગીરી તેજ કરી છે.
આ ઘટનાને પગલે શહેરમાં ભંગારના ગેરકાયદેસર વેપાર અને ચોરીના બનાવો અંગે ફરી ચર્ચા જાગી છે. પોલીસે જણાવ્યું છે કે આવનારા સમયમાં પણ આવી શંકાસ્પદ હિલચાલ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
