ભરૂચ: ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં મહોરમ પર્વને લઈને ઈબાદત, અકીદત અને ગમગીનીનો માહોલ છવાયો છે. મહોરમ માત્ર એક તહેવાર નથી, પરંતુ સત્ય, ઇન્સાફ, સબર અને કુરબાનીનો સંદેશ આપતો પવિત્ર મહિનો છે. આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાજીયાના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચ શહેરના નરસીપુરા વિસ્તારમાં નરસીપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને મનમોહક તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઝીણવટભર્યું કોતરકામ, સુંદર નકશીકામ અને આકર્ષક રોશની સાથે તૈયાર થતા તાજીયા શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
કમિટીના સભ્ય સરફરાઝ પઠાણ ના જણાવ્યા મુજબ, મહોરમનો મહિનો શહાદત, સત્ય અને હક માટેના સંઘર્ષની યાદ તાજી કરાવે છે. કરબલાની લડાઈ ના રણમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ બાતિલ સામે હકની લડત લડી હતી. તેમણે દુનિયાને શીખવ્યું કે અન્યાય સામે માથું ન ઝુકાવવું અને સત્ય માટે અંતિમ શ્વાસ સુધી અડગ રહેવું.
ચાંદના દર્શન સાથે જ તાજીયાના નિર્માણની શરૂઆત થાય છે. અંદાજે દોઢથી બે મહિના સુધી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલો એકસાથે મહેનત કરી આ પવિત્ર પરંપરાને જીવંત રાખે છે. મહોરમના પ્રથમ ચાંદથી લઈને સાતમા ચાંદ સુધી સતત પરિશ્રમ બાદ તાજીયાને ભવ્ય સ્વરૂપ આપવામાં આવે છે.
તાજીયાનું નિર્માણ માત્ર કાગળ, લાકડું કે લાઇટિંગનું કામ નથી, પરંતુ તેમાં અકીદત, મહોબ્બત અને ઇમામ હુસૈન પ્રત્યેની અડગ શ્રદ્ધા સમાયેલી હોય છે. દરેક કોતરકામમાં ઇતિહાસની યાદ છે અને દરેક રોશનીમાં કરબલાના સંદેશની ઝાંખી જોવા મળે છે.
નરસીપુરા યંગ કમિટીના સભ્યોએ જણાવ્યું કે આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એકતા, ભાઈચારો અને માનવતાનું પ્રતિક છે. આગામી પેઢી સુધી આ સંસ્કૃતિ અને આસ્થાની અમાનત પહોંચે તે માટે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.
