ભરૂચ:
કવિઠા ગામે પરિવારને ગામબહાર કરવાના મામલે અસરગ્રસ્ત પરિવારે ફરી એકવાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. પરિવારનો આક્ષેપ છે કે ઘટનાને આટલો સમય વીતી ગયો હોવા છતાં જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પરિવાર આજે પણ અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યો છે.
અસરગ્રસ્ત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામબહાર કરવાના “તાલિબાની હુકમ” બાદ પરિવારની સ્થિતિ દયનીય બની ગઈ છે. તેમણે દાવો કર્યો કે અગાઉ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે પ્રશ્નો ઉઠાવવાના કારણે તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે જિલ્લા પંચાયતના સભ્ય યતિન પટેલે ગામના ભોળા લોકોને ખોટી રીતે દોરી તેમના પરિવારનો વિરોધ કરાવ્યો હતો. ઉપરાંત, બે મહિના અગાઉ તેમના પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
મયુરસિંહ રાજે જણાવ્યું કે, “યતિન પટેલ પોતાની ભૂલ સ્વીકારી સમાધાન માટે આવે તો સમાધાન થઈ શકે તે હેતુથી અમે થોડો સમય રાહ જોઈ હતી. પરંતુ હજુ સુધી સમાધાન માટે કોઈ આગળ આવ્યું નથી. આખરે હવે અમે અમારી કાયદેસરની લડત ફરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.”
પરિવારે જણાવ્યું કે ગામબહાર કરવાના સમગ્ર મામલે ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અસરગ્રસ્ત પરિવારે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
