દહેજથી આમોદ જવાના માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતો માટે કુખ્યાત બની ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે રોડની હલકી ગુણવત્તા, જોખમી સ્થિતિ અને જરૂરી સલામતીના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકોએ અહીં પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
આજરોજ વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બદલપુર ગામના વિનોદભાઈ વસાવા પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન ગોલાદરા ચોકડી પાસે તેમની બાઈકની ભારે વાહન સાથે જોરદાર ટક્કર થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનાએ ફરી એક વખત માર્ગની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો તંત્ર સમક્ષ લાંબા સમયથી આ સ્થળે રોડનું તાત્કાલિક સમારકામ, યોગ્ય સાઇનેજ, સ્પીડ કંટ્રોલના પગલાં અને અન્ય સલામતીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જો હવે પણ જવાબદાર વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવી વધુ દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.
દહેજ–આમોદ માર્ગ પર ગોલાદરા ચોકડી વધુ એક વખત બની ‘મોતનો માર્ગ’ – વધુ એક યુવાનનો અકસ્માતમાં જીવ ગયો
Advertisement
