ભરૂચ:
લગ્નજીવનના થોડા જ સમયમાં પતિ દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે એક પરિણીતાએ પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભરૂચ તાલુકાના દેરોલ ગામે પરમાર ફળિયામાં રહેતાં હરીભાઇ મકવાણાની પુત્રીના લગ્ન તા. 10 માર્ચ, 2026ના રોજ ભાવિનભાઈ મહેશભાઈ પરમાર (રહે. પણીયાદરા, તા. વાગરા, જી. ભરૂચ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ જીજ્ઞાસાબેન સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્નના શરૂઆતના એક મહિના સુધી પતિનું વર્તન સામાન્ય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ નાની-નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા. પતિ વારંવાર અપશબ્દો બોલતા, યોગ્ય રીતે વાતચીત કરતા નહીં તેમજ પતિ-પત્ની તરીકેના સંબંધો પણ રાખતા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પરિણીતાના આક્ષેપ મુજબ, પતિ તેમના પિયર પક્ષના સામાજિક પ્રસંગોમાં પણ સાથે જતા નહોતા. તા. 26 એપ્રિલ, 2026ના રોજ દેરોલ ખાતે તેમની બહેનપણીના લગ્ન પ્રસંગે જવાનું હતું, પરંતુ પતિએ જવાની ના પાડી હતી. તે જ દિવસે ઘરમાં થયેલી બોલાચાલી દરમિયાન પતિએ બે તમાચા મારી મારઝૂડ કરી હતી અને “તું મને પસંદ નથી, મારે તને રાખવી નથી, તું મને છૂટાછેડા આપી દે” જેવા શબ્દો કહી અપમાનિત કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પતિ વારંવાર પત્ની પર ખોટા શક-વહેમ રાખીને ગાળો આપતા અને ઝઘડા કરતા હતા. ઘટનાથી કંટાળીને પરિણીતાએ પોતાના પિતાને ફોન કરતાં બીજા દિવસે પિતા સાસરીએ પહોંચ્યા હતા અને તેમને દેરોલ સ્થિત પિયર લઈ ગયા હતા. ત્યારથી તેઓ પિયરમાં જ રહે છે.
પરિણીતાના જણાવ્યા મુજબ, પિયરમાં આવ્યા બાદ આજદિન સુધી પતિ તેમને તેડવા આવ્યા નથી કે કોઈ પ્રકારનો સંપર્ક પણ કર્યો નથી. ઉપરાંત પતિએ પતિ તરીકેની કોઈ જવાબદારી નિભાવી નથી અને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે પતિ ભાવિનભાઈ મહેશભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
