દહેજ SEZ-2 વિસ્તારમાં આવેલી Roha Dyechem Pvt. Ltd.માંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનો પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટ અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઠાલવવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર દહેજ અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતો કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ નિયમ મુજબ અધિકૃત ટ્રીટમેન્ટ સુવિધામાં મોકલવાના બદલે કથિત રીતે ભંગારના ગોડાઉનોમાં પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ પ્લાસ્ટિકની બિનઅધિકૃત રીતે સફાઈ અને ધોવાણ કરવામાં આવતું હોવાનું તેમજ તેમાંથી નીકળતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ પ્લાસ્ટિક સળગાવાતું હોવાની પણ ફરિયાદ છે, જેના કારણે હવા અને પાણીના પ્રદૂષણમાં વધારો થતો હોવાનું મંડળે જણાવ્યું છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેસ્ટના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજોમાં માલનો ઉલ્લેખ અધિકૃત પેકેજિંગ અથવા રિસાયકલિંગ એકમના નામે દર્શાવી ગેરરીતિપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હોવાની શંકા છે. સમગ્ર વ્યવહારની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળે યાદ અપાવ્યું હતું કે અગાઉ આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદની તપાસ દરમિયાન પણ આ જ વિસ્તારના ગોડાઉનનો મુદ્દો સામે આવ્યો હતો અને GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ફરી આવી પ્રવૃત્તિઓ સામે આવતાં અગાઉની કાર્યવાહી કેટલી અસરકારક રહી તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિ હરેશભાઈએ જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે સ્થળ તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતાં GPCBને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે તંત્રએ તપાસ શરૂ કરી છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વેસ્ટનું પરિવહન કરનાર, કરાવનાર તેમજ નિયમભંગમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
