ભરૂચ:
આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે શહેરના વિવિધ જાહેર સ્થળોએ વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંવેદનશીલ સ્થળોએ ઓચિંતું ચેકિંગ કરતા લોકોમાં અચરજ સાથે સુરક્ષાની લાગણી પણ જોવા મળી હતી.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન, સિટી સેન્ટર, એસટી ડેપો તેમજ શહેરના અન્ય જાહેર સ્થળો અને મોલમાં સઘન તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કોઈપણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ કે સંદિગ્ધ સામગ્રી મળી આવી ન હતી.
ભરૂચ જિલ્લામાં દર વર્ષે ભરૂચ, અંકલેશ્વર અને આમોદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગે અગાઉથી જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે.
આ અભિયાનમાં એસઓજીના પીઆઈ એ.વી. પાણમિયા, એલસીબીના પીએસઆઈ એ.વી. શિયાળિયા તથા તેમની ટીમો ઉપરાંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનોએ પણ સક્રિય ભાગ લીધો હતો.
ચેકિંગ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે શહેરજનોમાં પણ સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. રથયાત્રા દરમિયાન પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.
