ભરૂચ :
વાગરા તાલુકામાં આવેલાં રહિયાદ ગામે ઋષીરાજ કોમ્પ્લેક્ષ ખાતે રહેતો અને મુળ યુપીનો અજય કિશાન ભુપતરામ કિશાન પખાજણ જીઆઈડીસીમાં આવેલી ઈન્ડોસ્પેક કેમિકલ પ્રા. લી. કંપનીમાં કામ કરતો હતો. સવારના નવેક વાગ્યે તે કંપનીના બોઈલર વિભાગમાં આવેલાં પેનલ રૂમમાં તેના અન્ય સાથીઓ સાથે પતરા લગાવવાનું કામ કરતાં હતાં. અરસામાં તે તેના અન્ય સહકર્મી રાહુલ સાથે પતરા લઈને શેડ પર મુકવા જઈ રહ્યાં હતાં. તે વેળાં તેમના પગ નીચેનું પતરૂ બેન્ડ વળી જતાં તે લપસીને નીચે પટકાયો હતો.
જેમાં તેને કમર અને પીડન ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે આસપાસના અન્ય કર્મચારીઓ દોડી આવ્યાં હતાં. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિલટમાં લઈ ગયાં હતાં. જ્યા તેનું સારવાર વેળાં મોત નીપજયું હતું. જોકે, ઘટનાને લઈને કંપનીના સંબંધીત વિભાગ દ્વારા શ્રમિકોની સુરક્ષાને લઈને તકેદારી રાખી હતી કે નહીં, કર્મચારીઓ આટલી ઉંચાઈ પર કામ કરતાં હોય તો તેમને સેફટી બેલ્ટ કેમ નતો લગાવ્યો તે સહિતના પ્રશ્નો ઉભા થયાં છે જોકે, હાલમાં પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોત થવા સબબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
