ભરૂચ:
ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર તાજેતરમાં રખડતા ગર્દભ સાથે અથડાતા એક યુવાનનું કરુણ મોત નિપજવાની ઘટનાના પગલે ભરૂચ નગરપાલિકા હરકતમાં આવી છે. જાહેર માર્ગો પર રખડતા પશુઓ સામે કાર્યવાહી શરૂ કરતાં પાલિકાની ટીમે બુધવાર રાત્રે સમગ્ર શહેરમાં વિશેષ અભિયાન ચલાવી કુલ 19 ગર્દભોને પકડી પાડ્યા હતા. જોકે હવે તેમને ક્યાં રાખવા તે પાલિકા માટે મોટો પડકાર બની ગયો છે.
ભરૂચ શહેરમાં કેટલાક પશુમાલિકો પોતાના ગર્દભ તેમજ અન્ય પશુઓને ખુલ્લા રસ્તા પર રખડતા મૂકી દેતા હોવાથી અકસ્માતોના બનાવો વારંવાર બનતા રહે છે. તાજેતરમાં સ્ટેશન રોડ પર ગર્દભ સાથે અથડાતા એક્ટિવા સવાર યુવાન લોખંડના ડિવાઇડર સાથે અથડાયો હતો અને ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ભારે રોષ ફેલાવ્યો હતો અને નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા.
ઘટના બાદ નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાના કર્મચારીઓએ આખી રાત શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન ચલાવી રખડતા 19 ગર્દભોને પકડી પાલિકાના ગેરેજ વિસ્તારમાં રાખ્યા હતા.
પરંતુ ભરૂચ નગરપાલિકા પાસે રખડતા પશુઓ માટે પોતાનું કાયમી પશુ આશ્રયસ્થાન (ડબો) ઉપલબ્ધ ન હોવાથી હવે આ ગર્દભોને ક્યાં ખસેડવા તે પ્રશ્ન ઊભો થયો છે. પાંજરાપોળોમાં મુખ્યત્વે ગૌવંશને જ રાખવાની વ્યવસ્થા હોવાથી ગર્દભોને સ્વીકારવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
આ લખાય છે ત્યાં સુધી પકડાયેલા ગર્દભોના કોઈ માલિક પાલિકા સમક્ષ હાજર થયા નહોતા. જેના કારણે આગળની કાયદેસરની કાર્યવાહી અંગે પણ પાલિકા મૂંઝવણમાં છે.
નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના માર્ગો પર રખડતા ગાય, આખલાં અને અન્ય પશુઓ સામે પણ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેથી માર્ગ અકસ્માતો અટકાવી શકાય અને શહેરમાં ટ્રાફિક તેમજ જાહેર સલામતી જાળવી શકાય.
