ભરૂચ:
દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરતા ભરૂચ શહેરના કસક વિસ્તારને હવે કાયમી રાહત મળે તેવી આશા જાગી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે હાલની 3 ફૂટ પહોળી ગટરના સ્થાને 5 ફૂટ પહોળી નવી ગટર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
દર વર્ષે કસક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે રૂ. 50 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હતી. હવે મોટી ગટર બનવાથી વરસાદી પાણીનો નિકાલ વધુ ઝડપથી થઈ શકશે અને સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
આ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયેલા રેડ એલર્ટ બાદ જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તથા તાલુકા કક્ષાના લાયઝન અધિકારીઓએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારો, તળાવો, નદી-નાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોની મુલાકાત લઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન જ્યાં વરસાદી પાણી ભરાવાથી રહેણાંક વિસ્તારો અને મિલકતોને નુકસાન થવાની સંભાવના જણાઈ હતી ત્યાં સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરિશ અગ્રવાલએ જણાવ્યું હતું કે, “કસક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાલની 3 ફૂટની ગટરના સ્થાને 5 ફૂટની ગટર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને મંજૂરી માટે સરકાર સમક્ષ મોકલવામાં આવ્યો છે.”
