ભરૂચ: ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બને તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તે હેતુથી ગુરુવારે અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ચોમાસાના કારણે બિસ્માર બનેલા માર્ગો અને વિવિધ સ્થળોએ આપવામાં આવેલા ડાયવર્ઝનનું તાત્કાલિક સમારકામ કરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જેથી વાહનચાલકો અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે.
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધિ અંગે સમીક્ષા કરતાં કલેક્ટરશ્રીએ પાણી પુરવઠા વિભાગને છેવાડાના ગામો સુધી નિયમિત અને પૂરતું શુદ્ધ પીવાનું પાણી પહોંચે તેની સુનિશ્ચિત વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી. સાથે જ ચોમાસામાં પાણીજન્ય અને ચેપી રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગને દરેક ગામમાંથી પાણીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં ગુણવત્તા પરીક્ષણ કરવાની ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા અંગે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા, પાનોલી તથા GIDCના અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી સ્વચ્છતા કામગીરીને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે નિયમિત ફોગિંગ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી આયોજન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકા અને નોટિફાઇડ એરિયાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
