ભરૂચ :
ભરૂચના ઝાડેશ્વર સ્થિત વચનામૃત રેસીડેન્સીમાં રહેતા જયંત પાટીલના ઘરે જન્મેલી નવજાત બાળકી માટે RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જન્મ બાદ માત્ર 10 દિવસની ઉંમરે ગંભીર જન્મજાત હૃદયરોગની સફળ સર્જરી થતાં બાળકીને નવું જીવન મળ્યું છે.
RBSK ટીમના ડૉ. અતુલ હિરાણી અને ડૉ. ક્રિષ્ના ગાબાણીએ નવજાત બાળકીની નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન હૃદયની ગંભીર જન્મજાત ખામીનું સમયસર નિદાન કર્યું હતું. સ્થિતિની ગંભીરતા સમજી બાળકીને તાત્કાલિક ગુજરાત સરકારની RBSK યોજના હેઠળ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
યુ. એન. મહેતા હોસ્પિટલના નિષ્ણાત હૃદયરોગ તબીબોની ટીમે બાળકીની માત્ર 10 દિવસની ઉંમરે સફળ હૃદય સર્જરી કરી તેનો જીવ બચાવ્યો હતો. સર્જરી સફળ રહેતાં હાલ બાળકી સ્વસ્થ છે, જેના કારણે પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
ગુજરાત સરકારની RBSK યોજના હેઠળ જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણ સંબંધિત સમસ્યાઓ અને વિકાસલક્ષી તકલીફોનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ, નિદાન અને ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના દ્વારા દર વર્ષે રાજ્યભરના અનેક બાળકોને સંપૂર્ણ મફત સારવાર મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોને લાખો રૂપિયાના સારવાર ખર્ચમાંથી રાહત મળી રહી છે અને બાળકોને નવજીવન મળી રહ્યું છે.
સફળ સારવાર બાદ બાળકીના પરિવારજનોએ RBSK ટીમના ડૉ. અતુલ હિરાણી, ડૉ. ક્રિષ્ના ગાબાણી, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ગુજરાત સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
