વાંકલ :
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામમાં ઝેરી જનાવર કરડતાં 7 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણીનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ચિતલદા ગામના મંદિર ફળિયામાં રહેતા નંદલાલ રમેશભાઈ વસાવાની 7 વર્ષની પુત્રી નાયરા વસાવા, જે ધોરણ-2માં અભ્યાસ કરતી હતી, ગત શનિવારે રાત્રે પોતાના મોસાળમાં દાદા કાદીરભાઈ ખાલપાભાઈ વસાવાના ઘરે સૂવા ગઈ હતી. પરિવારજનો રાત્રિભોજન બાદ સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે નાયરાને કોઈ ઝેરી જનાવરે ડંખ માર્યો હતો.
બાળકીની તબિયત અચાનક બગડતાં પરિવારજનો જાગી ગયા હતા અને વિલંબ કર્યા વગર તેને સારવાર માટે ઝંખવાવ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તપાસ બાદ નાયરાને મૃત જાહેર કરી હતી.
માસૂમ બાળકીના અચાનક નિધનથી માતા-પિતા સહિત સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ગામમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને સ્થાનિકોમાં દુઃખની લાગણી વ્યાપી છે.
ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
