ઝઘડિયા તાલુકાના વણકપુર ગામના ટેકરા ફળિયા વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વહેલી સવારે અંદાજે 2 વાગ્યાના સમયે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં નરેશ વસાવા અને સંગીતા વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. દિવાલ તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત બંનેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે નબળાં અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારો માટે જોખમની સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ગ્રામજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોએ વરસાદી ઋતુ દરમિયાન જોખમી અને જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી સુરક્ષા પગલાં ભરવાની માંગ કરી છે. બીજી તરફ, તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા, જોખમી મકાનોથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટનાની સ્થિતિમાં તાત્કાલિક તંત્રને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
