ભરૂચ: દહેજ મરીન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાહિત વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2020માં દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 407, 120(બી) અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઇ (ઉં.વ. 33) મૂળ રાજસ્થાનના બિલાડા તાલુકાના રાવરકીઢાની ગામનો રહેવાસી છે. ગુનો નોંધાયા બાદથી તે સતત પોલીસથી નાસતો ફરતો હતો.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ ફોનકોલ રેકોર્ડનું ટેકનિકલ વિશ્લેષણ કરી આરોપીની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરી હતી. સાથે જ માનવ બાતમીદારોના નેટવર્કના આધારે આરોપી રાજસ્થાનના બિલાડા તથા જોધપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયો હોવાની કડી મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી હતી. આરોપીની ચોક્કસ હિલચાલની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસની મદદથી જોધપુરના સારણનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ચંદ્રશેખર ઉર્ફે શેખર બિશ્નોઇને ઝડપી લેવામાં આવ્યો હતો.
છ વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીને ટેકનિકલ તપાસના આધારે રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
