ભરૂચ:
શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી સમાજ ભરૂચની વર્ષ ૨૦૨૬ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલ ખાતે યોજાઈ હતી. સમાજના પ્રમુખ મનહરભાઈ રામજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં વહીવટી કામગીરી ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વર્ષ દરમિયાન અવસાન પામેલા સમાજના સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ મનહરભાઈ રામજીએ વર્ષ દરમિયાન સમાજ દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમાજના મંત્રી વસંતભાઈ કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી સમાજની નાણાકીય સ્થિતિનો ચિતાર સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો. સભામાં સમાજના વિકાસ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ફરસરામી દરજી જ્ઞાતિના ધોરણ ૮, ૯ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ‘ચંપકભાઈ પરમાર્થી સ્કોલરશીપ’ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઈ રામજી, મંત્રી વસંતભાઈ કાપડિયા, ટ્રસ્ટી જયેશભાઈ કાપડિયા, નીતિનભાઈ ટેલર સહિત સમાજના અન્ય કાર્યકરો, સ્કોલરશીપના લાભાર્થી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જીતેશ ટેલર અને દેવેન્દ્ર સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સમાજના શૈક્ષણિક વિકાસ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિને ઉપસ્થિત સૌએ આવકારી હતી.
