ભરૂચ :
શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોને શોધી તેમને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વાકાંક્ષી ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આવેલા શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સમારોહને સંબોધતા પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભરૂચ વિસ્તાર માટે આજનો કાર્યક્રમ અત્યંત મહત્વનો અને ક્રાંતિકારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શાળા છોડી ગયેલા આશરે ૪,૦૦૦ બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ચાર હજાર બાળકોના જીવનમાં પરિવર્તન લાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવું એ પોતાનામાં જ એક મોટી ક્રાંતિ અને વિકાસનું પરિણામ છે.
એક સમય હતો જ્યારે રાજ્યમાં શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ૧૮થી ૨૦ ટકા જેટલો હતો. બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વિના શાળા છોડી દેતા હતા. પરંતુ સતત પ્રયાસોના પરિણામે આજે ગુજરાતમાં ડ્રોપઆઉટ દર ઘટાડીને આશરે ૧ ટકા સુધી લાવવામાં સફળતા મળી છે.
પ્રભારીમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રનો એક પણ નાગરિક જો અશિક્ષિત રહે તો તે સમાજ માટે પોષાય નહીં. જ્ઞાન પ્રાપ્ત થશે તો જ માણસ સાચું, સાદું અને સાત્વિક જીવન જીવી શકશે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદનો ઉલ્લેખ કરતાં જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને સંસ્થાઓનું સન્માન
‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને વિવિધ પ્રકારની મદદ અને સહાય પૂરી પાડનાર વિવિધ સામાજિક સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા બાળકોના શિક્ષણ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર શિક્ષકો, સંસ્થાઓ અને કંપનીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
જંબુસરના ૨૫ બાળકોને સાયકલની ચાવી અર્પણ
કાર્યક્રમ દરમિયાન જંબુસર તાલુકાના આશરે ૨૫ બાળકોને શાળાએ જવા-આવવા માટે સાયકલ આપવામાં આવી હતી. પ્રતિકાત્મક રીતે બાળકોને સાયકલની ચાવી અર્પણ કરવામાં આવી હતી. શાળા સુધી પહોંચવામાં વાહનવ્યવહારની મુશ્કેલીનો સામનો કરતા બાળકો માટે આ સહાય અભિયાનના મહત્વના ભાગરૂપે જોવામાં આવી હતી.
‘ચાર હજાર જીવન યુ-ટર્ન લઈને ઉજ્જવળ ભવિષ્ય તરફ’
પ્રભારીમંત્રી પાનશેરિયાએ શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આશરે ચાર હજાર બાળકોના જીવનમાં ‘યુ-ટર્ન’ આવ્યો છે અને હવે તેઓ ઉજ્જવળ ભવિષ્યની દિશામાં નવી સફર શરૂ કરી રહ્યા છે.આ તમામ બાળકોને શુભેચ્છા પાઠવતા તેમણે શિક્ષણ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા અને અભિયાનને સફળ બનાવવા સૌએ સાથે મળીને કામગીરી કરવાની અપીલ કરી હતી.
